નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67 લાખ નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન આજે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે દૈનિક મીડિયા બ્રીફિંગમાં કોરોનાને લઈ મોટી વાત કરી હતી.


તેમણે કહ્યું કે, દેશના 10 રાજ્યોમાં જ કોરોનાના 77%  એક્ટિવ કેસ છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ મોખરે છે. દેશમાં થયેલા કુલ મોતના 48% 25 જિલ્લામાં થયા છે. 25માંથી 15 જિલ્લા મહારાષ્ટ્રના છે. આરોગ્ય મંત્રાલય આ રાજ્યો સાથે કોરોનાથી થનારા મોતને લઈ વાત કરી રહ્યુ છે. મૃત્યુદર 1 ટકાથી નીચે લાવવાનો લક્ષ્યાંક છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, કોવિડ-19 કામગીરી સાથે સંકળાયેલા હેલ્થવર્કરના ડયુટી દરમિયાન થયેલા મોતમાં 95 કેસમાં દરેકનો 50 લાખનો વિમો મંજૂર કરવામાં આવ્યો છે. 176 દાવા પ્રોસેસમાં છે અને વિવિધ રાજ્યો તરફથી 79 દાવા હજુ કરવાના બાકી છે.



ભારતમાં છેલ્લા 24 કલાકમાં 61,267 નવા કોવિડ કેસ નોંધાયા છે અને 884 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66,85,083 પર પહોંચી છે. દેશમાં હાલ 9,19,023 એક્ટિવ કેસ છે અને 56,62,491 લોકો કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. દેશમાં કોરોનાએ અત્યાર સુધીમાં 1,03,569 લોકોનો ભોગ લીધો છે.