પણજીઃ ભારતમાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 600ને પાર કરી ગઈ છે અને અત્યાર સુધીમાં 11 લોકોના આ બીમારીથી મોત થયા છે. 43 દર્દી સાજા થઈ ચુક્યા છે.


આ દરમિયાન ગોવામાં કોરોનાના ત્રણ દર્દી સામે આવ્યા છે. આ વાતની પુષ્ટિ ખુદ રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કરી છે. મુખ્યમંત્રીએ જાણકારી આપીને ટ્વિટ કર્યુ કે, ત્રણેયને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્રણેય સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં જ વિદેશ પ્રવાસેથી પરત ફર્યા હતા.

આ પહેલા ગોવામાં કોવિડ-19 સંક્રમણનો એકપણ મામલો નહોતો. સ્વાસ્થ્ય મંત્રાલયે મોડી રાતે નિવેદન જાહેર કરીને કહ્યું, કોવિડ-19 સંક્રમણના જે ત્રણ શંકાસ્પદ હતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણેય દર્દીની ઉંમર 25, 29 અને 55 વર્ષ છે અને ત્રણેય પુરુષ છે. તેઓ સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી ગોવા આવ્યા હતા. તેમને ગોવા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.