નવી દિલ્હીઃ કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનની લોકો પર શું અસર પડી છે ? તેને લઈ સિવિલ સોસાયટી સંગઠનોએ દેશના 12 રાજ્યોમાં 5000 ગ્રામીણ પરિવારો પર સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, આ મુશ્કેલ સમયનો સામનો કરવા તેમાંથી અડધાભાગના લોકો ઓછું ખાઈ રહ્યા છે.


68 ટકા પરિવારોએ કહ્યું કે, તેમના ભોજનમાં ખાદ્ય પદાર્થોની સંખ્યા ઘટાડી દીધી છે. 50 ટકા પરિવારોએ કહ્યું એક દિવસમાં જેટલું ખાતા હતા તેમાં ઘટાડો કરી દીધો છે. જ્યારે 24 ટકા પરિવારોએ ઉધાર લઈને ખાવાની વાત કહી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, સર્વેમાં 84 ટકા પરિવારોએ કહ્યું તેમને પીડીએસ દ્વારા રાશન ખરીદ્યુ છે. 16 ટકા પરિવારોને જમવાનું મળ્યું નહોતું.

12 રાજ્યના 47 જિલ્લામાં સર્વે

આ સર્વે દેશના 12 રાજ્યોના 47 જિલ્લામાં 5162 ગ્રામીણ પરિવારો પર કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, આસામ અને કર્ણાટકમાં 28 એપ્રિલથી 2 મે વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો.