ચેન્નઈ: તમિલાનાડુમાં શનિવારે કોવિડ-19 સંક્રમણના કેસનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ તમિલાનાડુ આ મહામારીથી સૌથી પ્રભાવિત છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે અને આ વધી રહેલા સંક્રમણના કેસની પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે.


દક્ષિણ ભારતના આ રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના કેસની સંખ્યા 1,02,721 થઈ ગઈ છે. જેમાંથી 1385 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 58,378 લોકો આ સંક્રમણમાંથી સાજા થયા છે. રાજ્યમાં આ સંક્રમણથી રિકવર રેટ 57 ટકા છે.રાજ્યમાં અત્યાર સુધી 12.70 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર 1.3 ટકા છે. ચેન્નઈમાં કોવિડ-19ના સર્વાધિક 64,689 કેસ સામે આવ્યા છે.

રાજ્યના આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણએ કહ્યું કે, કોરોનાથી સંક્રમણના કેસમાં થઈ રહેલા વધારાથી ઘબરાવાની જરૂર નથી અને ચેન્નઈની ઝૂપડપટ્ટીને મુંબઈ ઝૂપડપટ્ટી સાથે જોડવાની જરૂર નથી. મુખ્યમંત્રીની આક્રમક અને વધારેમાં વધારે તપાસ કરવાની રણનીતિના કારણે મામલા વધી રહ્યાં છે.