નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 60753 નવા કોરોનાના કેસ આવ્યા અને 1647 સંક્રમિતોના મોત થયા છે.  97,743 લોકો કોરોનાથી ઠીક થયા છે .


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - બે કરોડ 98 લાખ 23 હજાર 546

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 86 લાખ 78 હજાર 390

  • કુલ એક્ટિવ કેસ - 7 લાખ 60 હજાર  

  • કુલ મોત - 3 લાખ 85 હજાર 137


દેશમાં સતત 37માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ લોકોની સંખ્યા વધારે છે. 74 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા છે. 18 જૂન સુધી દેશભરમાં 27 કરોડ 23 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 33 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં અંદાજે 38 કરોડ 92 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવિટી રેટ 4 ટકાથી વધારે છે.






દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછા થઈ ગાય છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.