નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વની સાથે ભારતમાં કોરોના મહામારી વિકરાળરૂપ ધારણ કરી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થવા લાગ્યો છે. દેશમાં એક જ દિવસમાં 103 નવા કેસ નોંધાયા હતા. જેના કારણે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 499 પર પહોંચી ગઈ છે, જ્યારે 10 લોકોના મોત થયા છે.


કોરોના સામે લડવા દેશના 548 જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ICMR (Indian  Council Of Medical Research)ના તાજા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કડકાઈથી ઘરમાં રહેવાની ફોર્મુલાનું પાલન કરાવવામાં આવે તો કોરોનાને ઘણા અંશે કાબુમાં કરી શકાય છે.

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે લોકડાઉન અને કર્ફ્યુનો રસ્તો કડકાઈથી અપનાવવામાં આવે, ઉપરાંત ઘરમાં કેદ જેવી ફોર્મુલા અપનાવવામાં આવે તો વાયરસના શંકાસ્પદ કેસોમાં 62 ટકા સુધી ઘટાડો આવી શકે છે. ઉપરાંત પોઝિટિવ કેસની સંખ્યા 89 ટકા સુધી ઘટી શકે છે.

સિંગાપુર, હોંગકોંગ અને દક્ષિણ કોરિયા તેના સૌથી મોટા ઉદાહરણ છે. WHOએ પણ લોકડાઉનની સાથે પ્રોપર ટેસ્ટિંગ અને સંક્રમિતોની ઓળખને મોટો ઉપાય માન્યો હતો. હવે ભારત પણ આ રસ્તો અપનાવી રહ્યું છે. આ સ્થિતિમાં જનતાના સહયોગતી કોરોનાને હરાવી શકાય છે.