નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના ચિંતાજનક રીતે વધી રહેલા મામલાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ફરી એક વખત બેઠક કરશે. પીએમ મોદીની આ બેઠક આજે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી યોજાશે. બેઠક દરમિયાન રસીકરણને લઈ પણ ચર્ચા થશે. છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાતમાં કોરોનાના મામલામાં ઝડપથી વધારો થયો છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, કોરોના વાયરસથી બચવાના ઉપાયનું પાલન કરવામાં બેદરકારીના કારણે સંક્રમણના મામલામાં વધારો થઈ રહ્યો છે. 75 ટકાથી વધારે મામલા આ રાજ્યોમાં છે.


દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એકવાર ઝડપથી તીવ્ર બની રહ્યો છે, આવી સ્થિતિમાં મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાન મોદીની આ બેઠક ખૂબ જ મહત્ત્વની બની રહેવાની છે. કોરોનાના પ્રકોપ વચ્ચે પીએમ મોદી દેશમાં રસીકરણ શરૂ થયા પછી પહેલીવાર મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઇ રહ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. મંગળવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ મહામારીથી એક જ દિવસમાં 131 લોકોના મોત થયા છેહતો વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે.


ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસો....


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.


દેશના આ રાજ્યોમાં  નાઇટ કર્ફ્યૂ


ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશે પણ કોરોના પર કાબુ મેળવવા નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. શિવરાજ સરકારે બુધવાર રાતથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યૂ નાંખવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છીંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોન સામેલ છે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ નહીં રહે પરંતુ બજારો બંધ રખાશે. આ ઉપરાંત પંજાબના રૂપનગર જિલ્લામાં રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ નાંખવામાં આવ્યો છે.


રાશિફળ 17 માર્ચ:  આજે શુક્ર મીન રાશિમાં કરશે પ્રભાવ, જાણો આજે કેવો રહેશે તમારો દિવસ