નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કહેરને ધ્યાનમાં રાખી શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં દિલ્હીના સીએમ કેજરીવાલ, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સહિત 10 રાજ્યના મુખ્યમંત્રીઓ લોકડાઉનના વધારવાનું સમર્થન કર્યુ હતું. શનિવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પૂર્ણ થયા બાદ પણ પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી ન હોવાથી દેશવાસીઓ ક્યારે આ અંગે જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યા છે.


પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાનો યોગ્ય ફેંસલો લીધોઃ કેજરીવાલ

રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ પૂર્ણ થયાની ગણતરીની મીનિટોમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, “પ્રધાનમંત્રીએ લોકડાઉન વધારવાનો યોગ્ય ફેંસલો લીધો છે. સમય પર લોકડાઉનના કારણે આજે ભારતની સ્થિતિ બીજા વિકસિત દેશો કરતા ઘણી સારી ચે. જો હાલ તે ખતમ કરી દેવામાં આવે તો બધુ બેકાર થઈ જશે. સ્થિતિને ઠીક કરવા માટે લોકડાઉન વધારવું જરૂરી છે.” જોકે પ્રધાનમંત્રી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પીએમ મોદીએ શું કરી ફાઈનલ રિમાર્ક

સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીઓ સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રીએ તેમના ફાઇનલ રિમાર્કમાં દેશમાં લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવવાનો ફેંસલો કર્યો છે. પીએમ સાથે વીડિયો કોન્ફરન્સ બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ જનતાને સંબોધન કરતાં થોડી ઢીલ સાથે લોકડાઉન વધારવાનો સંકેત આપ્યો હતો.

લોકડાઉનનો આજે 19મો દિવસ

પ્રધાનમંત્રી મોદી કયારે દેશને સંબોધન કરીને ફરી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરે તેના પર હાલ સૌનું ધ્યાન કેન્દ્રીત થયું છે. 24 માર્ચે વડાપ્રધાન મોદીએ દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી. જેનો આજે 19મો દિવસ છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

હાલ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8356 પર પહોંચી છે. જ્યારે 273 લોકોના મોત થયા છે અને 715 લોકો સાજા થઈ ગયા છે.