નવી દિલ્હીઃ કોરોના વાયરસને જોતા રેલવે મોટો ફેંસલો લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય રેલવે તમામ ટ્રેનોના સંચાલન પર 25 માર્ચ સુધી રોક લગાવી શકે છે. હાલ માત્ર 400 મેઇલ એક્સપ્રેસ ટ્રેન ચાલી રહી છે. આ ટ્રેનો તેના નિર્ધારીત સ્થળ પર પહોંચ્યા બાદ રોક લગાવવામાં આવી શકે છે. જે બાદ એક પણ ટ્રેન નહીં ચાલે.


જાણકારી મુજબ, તમામ મોટા રેલવે સ્ટેશનોને ખાલી કરાવવામાં આવશે. રેલવે બોર્ડ રવિવારે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડી શકે છે. રેલવે બોર્ડ 25 માર્ચે સમીક્ષા કરીને આ વ્યવસ્થાને આગળ લંબાવવી નહીં કે તેનો નિર્ણય લેશે.

કોરોના વાયરસને લઈ દેશમાં મામલા વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 320ને પાર કરી ગઈ છે. દુનિયાભરમાં ત્રણ લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત છે અને આશરે 13,000 લોકોના મોત થઈ ચુક્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, આ સમય છે જ્યારે આપણે તમામે ડોક્ટરો અને અધિકારીઓ દ્ધારા આપવામાં આપવતી સલાહ સાંભળવી જોઇએ. જે લોકોને ઘરમાં રહેવા માટે ક્વોરેન્ટાઇન કરવાનું કહેવામાં આવ્યું છે તેઓ દિશા નિર્દેશનું પાલન કરે તે જરૂરી છે. આ તમારા, તમારા પરિવાર અને મિત્રોની સુરક્ષા કરશે. બિનજરૂરી પ્રવાસ તમારી મદદ નહી કરે.