નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 હજારને પાર કરી ગઈ છે, જ્યારે મૃતકોનો આંક 400ને વટાવી ગયો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 12,380 પર પહોંચી છે. જેમાંથી 414 લોકોના મોત થયા છે અને 1489 સ્વસ્થ થઈ ગયા છે. હાલ સમગ્ર દેશમાં 10,447 એક્ટિવ કેસ છે.

કોરોનાના કહેર લઈને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે.

જે વિસ્તારમાં સંક્રમણના મામલા સામે ન આવ્યા હોય તેને ગ્રીન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુ ખરીદવા ઘરની બહાર નીકળવાની મંજૂરી આપે છે.

જોકે આ દરમિયાન ક્યાંય ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટેંસિંગ જળવાય તેનું ધ્યાન રાખવું પડે છે. જો આમ ન કરવામાં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સરકાર દ્વારા રેડ અને ઓરેન્જ ઉપરાંત ગ્રીન ઝોનમાં પણ કોરોના પર નજર રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. ગ્રીન ઝોનમાં ઈન્ફ્લુએન્ઝા કે શ્વાસ સંબંધિત બીમારી થઈ હોય તેવા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આવા દર્દીની ઓળખ કરીને તેમને કોરોના હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી આંગણવાડી અને આશા કાર્યકર્તાઓને આપવામાં આવી છે.