Coronavirus: ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમિક્રોન કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 4868 પર પહોંચ્યો છે, જેમાંથી 1805 સાજા થઈ ગયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, વિશ્વમાં ઓમિક્રોનથી કુલ 115 લોકોના મોત થયા છે અને ભારતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ડબ્લ્યુએચઓ અનુસાર દક્ષિણ આફ્રિકા, યુકે, કેનેડા, ડેનમાર્કના ડેટા ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન માટે હોસ્પિટલમાં દાખલ થવાનું ઓછું જોખમ સૂચવે છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે.






કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના 28 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 1281, રાજસ્થાનમાં 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479, પશ્ચિમ બંગાળમાં 294, ઉત્તરપ્રદેશમાં 275, ગુજરાતમાં 236, તમિલનાડુમાં 185, હરિયાણામાં 182, તેલંગાણામાં 129, ઓડિશામાં 102, આંધ્રપ્રદેશમાં 54, બિહારમાં 27, પંજાબમાં 27, ગોવામાં 21, જમ્મુ-કાશ્મીરમાં 13, મધ્યપ્રદેશમાં 1, આસામમાં 9, ઉત્તરાખંડમાં 8, ચંદીગઢમાં 5, મેઘાલયમાં 5, અંદામાન-નિકોબારમાં 3, પુડ્ડુચેરીમાં 2, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1 તથા મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.


ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,94,720  નવા કેસ નોંધાયા છે અને 442 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 60,405 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9,55,319 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 11.05 ટકા છે ઓમિક્રોનના કુલ કેસ 4868 થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69,49,17,180 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 જાન્યુઆરીએ 17,61,900 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.