બિહારમાં 16 ઓગષ્ટ સુધી વધારવામાં આવ્યું લોકડાઉન, કોરોનાના વધતા કેસને લઈ લેવામાં આવ્યો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jul 2020 08:33 PM (IST)
રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે રાજ્યમાં રાત્રીના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી અવર-જવર પર પ્રતિબંધ રહેશે.
પટના: બિહારની નીતીશ સરકારે શહેરી ક્ષેત્રોમાં 16 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય ગૃહમંત્રાલય તરફથી જાહેર ગાઈડલાઈન મુજબ, રાજ્ય મુખ્યાલય, જિલ્લા મુખ્યાલય, અનુમંડલ, બ્લોક અને તમામ મ્યુનિસિપલ વિસ્તારમાં 1 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ દરમિયાન સરકારી ઓફિસમાં 50 ટકા કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કામ કરવું પડશે. વાણિજ્ય અને પ્રાઈવેટ કાર્યાલયોમાં 50 ટકા કર્મચારીઓ સાથે ખોલવામાં આવશે. લોકડાઉન દરમિયાન જરૂરી સેવાઓ પહેલાની જેમ શરૂ રહેશે. રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે રાજ્યમાં રાત્રીના 10 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી અવર-જવર પર પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 48001 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 31673 દર્દીઓ સ્વસ્થ થયા છે. 16042 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 285 લોકોના મોત થયા છે. બિહારમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 65.98 ટકા છે.