નવી દિલ્હી: ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યા 34 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહી છે. તેની સાથે જ દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યા ચાર કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે ટેસ્ટિંગ લેબમાં પણ વધારો કરાયો છે.
ભારતમાં જાન્યુઆરી 2020માં પ્રથમ કેસ સામે આવ્યો હતો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે માત્ર એક જ લેબ મહારાષ્ટ્રના પુણેમાં હતી. જેના બાદ લેબની સંખ્યા વધારવામાં આવી અને ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી. ભારતમાં હાલ 1576 લેબ કોરોના ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમાંથી 1002 સરકારી લેબ છે જ્યારે 574 ખાનગી લેબ છે. અત્યાર સુધી 4,04,06,609 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
- 8 એપ્રિલ સુધી ભારતમાં માત્ર 10 હજાર સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા
- 3 મે સુધી સેમ્પલ ટેસ્ટની સંખ્યા વધીને 10 લાખ પહોંચી ગઈ.
- 10 જૂન સુધી ભારતમાં 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા હતા.
- 7 જુલાઈ સુધી એક કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- 4 ઓગસ્ટ સુધી 2 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 17 ઓગસ્ટ સુધી આ સંખ્યા 4 કરોડને પાર પહોંચી ગઈ.
ટેસ્ટ પ્રતિ મિલિયન (ટીપીએમ)ની વાત કરીએ તો અત્યારે ભારતમાં 29,280 ટેસ્ટ પ્રતિ મિલિયન થઈ રહ્યાં છે. અનેક રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે.


દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,472 નવા કેસ સામે આવ્યા છે અને 1,021 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખ 63 હજાર થઈ ગઈ છે. જેમાંથી 62,550 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 52 હજાર છે અને 26 લાખ 48 હજાર સ્વસ્થ થયા છે. એક દિવસ પહેલા દેશમાં રેકોર્ડ 77,266 નવા કેસ નોંધાયા હતા.