નવી દિલ્હી: દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 35 હજારની નજીક પહોંચી ગઈ છે. પરંતુ તેની વચ્ચે રાહતના સમાચાર એ છે કે, ભારતમાં રિકવરી રેટ પ્રતિદિન વધી રહ્યો છે. દેશમાં 10 લાખથી વધુ લોકો આ સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. દેશમાં સંક્રમણથી 10,20,582 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે રિકવરી રેટમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. ભારતમાં સંક્રમણમાંથી સાજા થવાનો દર 64.44 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 4 જૂન સુધી ભારતમાં 1,00,303 દર્દીઓ સંક્રમણથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. 2 જુલાઈ સુધી રિકવર થનારાઓની સંખ્યા 3,47,978 થઈ ગઈ. 30 જુલાઈ સુધીમાં કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગયો છે.


2 એપ્રિલે ભારતમાં રિકવરી રેટ 7.85 ટકા હતો. જે 30 એપ્રિલ સુધીમાં વધીને 24.56 ટકા થયો હતો. 4 જૂને 48.31 ટકા હતો,જે હાલ વધીને 64.44 ટકા થયો છે.

ભારતમાં કોરોનાના કુલ 15,83,792 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, જેમાં 5,28,242 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે અને 34968 દર્દીઓના મોત થયા છે. જ્યારે સંક્રમણથી 10,20,582 દર્દીઓ સ્વસ્થ થયા છે.છેલ્લા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 775 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.