નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતીય સંશોધકોનું કહેવું છે કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે છ ફૂટથી વધારે અંતર જરૂરી છે.  બેંગ્લુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કેનેડાની ઓન્ટેરિયા યુનિવર્સિટી અને કેલિફોર્નિયા લોસ એન્જલસ યુનિવર્સિટીના સંશોધકોએ મળીને કરેલા રિસર્ચમાં સામે આવ્યું કે, કોઈપણ સંક્રમિત વ્યક્તિના મોં કે શ્વાસ દ્વારા નીકળનારા કણ 13 ફૂટ સુધી દૂર જઈ શકે છે.


સંશોધકોના કહેવા પ્રમાણે એક વાત સ્પષ્ટ છે કે કોરોના વાયરસનો પ્રસાર સંક્રમિત વ્યક્તિના છીંકવાથી, ઉધરસથી ફેલાય છે. સંશોધકોની ટીમનું કહેવું છે કે કોરોનાના કણ સ્થિર હવામાં પણ 8થી 13 ફીટનું અંતર કાપી શકે છે. સંશોધકોના જણાવ્યા મુજબ, 50% ભેજ અને 29 ડિગ્રી તાપમાન પર કોરોનાના કણ વરાળ બનીને હવામાં ભળી શકે છે. ટીમે હવાની ગતિ અને શ્વાસન કણોના બાષ્પીકરણની વિશેષતાઓનો ઉપયોગ કરીને કોવિડ-19નું મેથેમેટિકલ મોડલ વિકસિત કર્યુ છે.

ફિઝિક્સ ઓફ ફ્લુઈડ્સ નામના જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત થયું છે. સંશોધનકર્તાએ એક સ્વસ્થ વ્યક્તિના શ્વાસથી નીકળનારા કણોની સંક્રમિત વ્યક્તિથી નીકળનારા કણો સાથે તુલના કરી હતી. સંશોધનકર્તા સ્વેતાપ્રોવો ચૌધરીએ કહ્યું, અમે દ્રવ્યમાન, ગતિ, ઊર્જા આકારના માપદંડનો ઉપયોગ કર્યો. તેના ફેલાવાનું અંતર અને ખતમ થવાનો ગાળો સહિત અનેક મહત્વપૂર્ણ કારણોની ગણના પણ કરી હતી.

તેમના કહેવા મુજબ, આ મોડલનો ઉપયોગ કરીને કણ કેટલા સમય સુધી જીવતા રહી શકે છે કે કેટલું અંતર કાપી શકે છે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સંશોધનકર્તા મુજબ, સ્થિર હવામાં પણ કોરોના વાયરસના કણ 8 થી 13 ફૂટનું અંતર કાપી શકે છે. તેથી છ ફૂટથી વધારેનું સામાજિક અંતર જાળવવું જરૂરી છે. સૌથી લાંબા સમય સુધી જીવિત રહેતા કણનો પ્રારંભિક આકાર 18-50 માઇક્રોન છે.