નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં બ્રાઝીલથી પણ વધારે કેસ નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 648 લોકોના મોત થયા છે અને 37,724 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,92,915 પર પહોંચી છે અને 28,732 લોકોના મોત થયા છે. 7,53,050 લોકો સાજા થઈ ગયા છે અને 4,11,133 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 3,27,031 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,80,643, દિલ્હીમાં 1,25,096, કર્ણાટકમાં 71,069, આંધ્રપ્રદેશમાં 58,668,  ઉત્તરપ્રદેશમાં 53,288, ગુજરાતમાં 50,379, તેલંગાણામાં 47,705, પશ્ચિમ બંગાળમાં 47,030, રાજસ્થાનમાં 31,373 કેસ નોંધાયા છે.