મુંબઈઃ ભારતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મહારાષ્ટ્ર ભારતમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. આ દરમિયાન રાજ્ય સરકારે તમામ જિમ અને સલૂન ખોલવાનો ફેંસલો કર્યો છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે આપી હતી.


તેમણે જણાવ્યું કે, રાજ્યમાં એક સપ્તાહમાં તમામ જિમ અને સલૂન પુનઃ ખોલવામાં આવશે. આ અંગે ગાઈડલાઈન ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે હજુ ધાર્મિક સ્થાનોને ખોલવાનો ફેંસલો કર્યો નથી.



છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી ત્રણ પોલીસકર્મીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોના સંક્રમણના 1144 નવા મામલા નોંધાયા છે અને 38 લોકોના મોત થયા છે. BMCના જણાવ્યા મુજબ, મુંબઈમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 69,625 સુધી પહોંચી ચુકી છે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,42,900 પર પહોંચી છે. જ્યારે 6,739 લોકોના મોત થયા છે. 73,792 લોકો સાજા થઈ ગયા છે અને 62,369 એક્ટિવ કેસ છે.