નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશના નાના-મોટા તમામ ઉદ્યોગો પર અસર પડી છે. આ દરમિયાન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે કે નહીં તેવો સવાલ ઉઠી રહ્યો છે. કોરોના વાયરસના કારણે મોટાભાગના સેક્ટર બંધ છે.


બેકિંગ સેક્ટરે પણ કોરોના વાયરસના કહેરથી બચી શકાય તે માટે કામકાજના સમય સહિત અનેક બદલાવ કર્યા છે. તેમ છતાં બેંકો બંધ રહેશે કે ખુલ્લી તેવા થઈ રહેલા સવાલ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો હતો.

સીતારમણે સોમવારે કહ્યું કે, તમામ બેંકની બ્રાંચ ખુલ્લી રહે, એટીએમ રોકડથી ભરેલા હોય અને કામ કરતાં હોય તે બેંકો સુનિશ્ચિત કરી લે. બેંકિંગ સેવાઓ કોઈપણ હિસાબે બંધ ન થવી જોઈએ. સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન થવું જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં સેનિટાઇઝર આપવામાં આવી રહ્યા છે.  કોઈપણ સહાયતા કે સ્પષ્ટીકરણની જરૂર હોય તો અહીંયા ટ્વિટ કરો.

હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારતમાં 1190 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 29 લોકોના મોત થયા છે. જ્યારે 102 લોકો સાજા થઈ ગયા છે.