નવી દિલ્હીઃ દેશમાં કોરનાના વધી રહેલા કહેર વચ્ચે મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈંદોરના ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે કોરોના વાયરસના દર્દીઓને શોધવાનું અભિયાન ચલાવી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં બે મહિલા ડોક્ટરોને પણ ઈજા થઈ છે.


મળતી માહિતી પ્રમામે, કોરોના વાયરસથી સંક્રમિત  એક દર્દીના સંપર્કમાં આવેલા લોકોને શોધવા ગયેલા સ્વાસ્થ્ય કર્મીઓ પર બુધવારે કેટલાક લોકોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં બે મહિલા ડોક્ટરોને પગમાં ઈજા થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મહિલા ડોક્ટરે જણાવ્યું કે, કોરોના સામે અભિયાન માટે સ્વાસ્થ્ય વિભાગના 5 સભ્યોની ટીમ આ વિસ્તારમાં ગઈ હતી. અમે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને શોધતા હતા તે દરમિયાન કેટલાક લોકો આવીને અમને ધમકાવવા લાગ્યા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. આ ઘટના બાદ હું ખૂબ ડરી ગઈ છું.

હાલ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2094 પર પહોંચી ગઈ છે. જ્યારે 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. 171 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.