અમૃતસરઃ દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 2000થી વધારે લોકોની તેની ઝપેટમાં આવી ચુક્યા છે અને 41 લોકોના મોત થયા છે. આ દરમિયાન અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના પૂર્વ હજૂરી રાગી નિર્મલ સિંહનું પણ ગુરુવારે સવારે કોરોના વાયરસના કારણે મોત થયું હતું. બુધવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ આજે સવારે આશરે 4.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.


પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જ્ઞાની નિર્મલ સિંહની ઉંમર 62 વર્ષ હતી. થોડા દિવસો પહેલા તેઓ વિદેશથી પાછા ફર્યા હતા. જે બાદ તેમને શ્વાસની તકલીફ થઇ હતી અને 30 માર્ચે  હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બુધવારના રોજ તેમના રિપોર્ટમાં કોરોના પોઝિટીવ આવ્યો હતો. પોલીસે સંક્રમણ ફેલાતું  રોકવા માટે નિર્મલ સિંહના મકાનની આસપાસના વિસ્તારને સીલ કરી દીધા છે. તેમની બે દીકરીઓ, દીકરા, પત્ની, ડ્રાઇવર અને તેમની સાથે બીજા છ લોકોને હોસ્પિટલમાં અલગ-અલગ ક્વારેન્ટાઇન કરાયા છે.

ગુરૂનાનક દેવ હોસ્પિટલના સિવિલ સર્જન પ્રભદીપ અને જૌહલે કહ્યું કે 62 વર્ષના નિર્મલ સિંહની સ્થિતિ ગંભીર હતી. તેમને વેન્ટીલેટર પર રાખ્યા હતા. તેમને પહેલેથી અસ્થમા હતો તેના લીધે તેમની સ્થિતિ ગંભીર હતી.

થોડાંક સમય પહેલાં જ યુકેથી આવ્યા હતા. ત્યાંથી આવ્યા બાદ તેઓ કેટલાંય કાર્યક્રમોમાં પણ સામેલ થયા હતા. તેઓ 29મી ફેબ્રુઆરીના રોજ તબલાવાદક ઝાકિર હુસૈનની સાથે સુવર્ણ મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં પણ હાજર હતા. ચંદીગઢમાં 19મી માર્ચના રોજ તેમણે એક ઘરમાં કીર્તન કર્યું હતું, જ્યાં ડઝનબંધ લોકો હાજર હતા.