નવી દિલ્હીઃ ભાજપના સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે બીજેપીના તમામ સંસ્થાપકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પણ આપી હી. ઉપરાંત તેણે કાર્યકર્તાઓને કોરોના સંકટને લઈ વાત પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમે દરેક સ્તર પર કોરોના સામે પ્રયાસ કર્યા, જેને લઈ વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતની પ્રશંસા કરી છે.


મોદીએ કહ્યું, હાલ આપણો દેશ મુશ્કેલ સમયમાં છે. પરંતુ રાજ્ય સરકારોના સહયોગથી આપણે સારી લડાઈ રહ્યા છીએ. એક દિવસની જનતા કર્ફ્યુ હોય કે લાંબા સમયનું લોકડાઉન, સમગ્ર દેશ કોરોના સામે એકજૂથ થઈને ઊભો છે. આ લડાઈં આપણે ન તો હારવાનું છે કે ન તો થાકવાનું છે, વિજયી થઈને બહાર નીકળવાનું છે.

લોકડાઉનના સમયે ભારતની જનતાએ જે મેચ્યોરિટી દર્શાવી છે તે અભૂતપૂર્વ છે. કાલે રાત્રે 9 વાગ્યે આપણે 130 કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિનો અનુભવ કર્યો. તેમનું દર્શન કર્યુ. દરેક ઉંમરના લોકો મળીને કોરોના સામે લડવા એકજૂથતા દેખાડી રહ્યા છે. જે આપણને કોરોના સામે લડવાની શક્તિ આપે છે.

પીએમ મોદીએ લોકોને કોરોના સામે લડવા પાંચ આગ્રહ કર્યા હતા. (1)તમારી આસપાસ કોઈ ભૂખ્યો ન સૂવે તે સુનિશ્ચિત કરો, જ્યારે પણ મદદમાટે જાવ ત્યારે માસ્ક પહેરીને જાવ.  આ માસ્ક ક્લિનિકલ હોય તે જરૂરી નતી, કોઈપણ કપડાનું માસ્ક પહેરો. (2) તમારા પરિવારજનો કે 5 અન્ય લોકોને માસ્ક બનાવીને ગિફ્ટ કરો. (3) કોરોના સામેની લડાઈમાં જોડાયેલા લોકો (પોલીસ, સ્વાસ્થ્યકર્મી, બેંકકર્મી)નો આભાર વ્યક્ત કરો. (4) ઓછામાં ઓછા 40 લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપને ઈન્સ્ટોલ કરાવો. (5) તમામ બીજેપી કાર્યકર્તાઓને પીએમ-કેયર્સમાં સહયોગ કરવા અને અન્ય 40 લોકોને પણ સહયોગ કરવા પ્રેરિત કરવાના છે.