નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટને લઈને ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર રવિવારે સાર્ક દેશોએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમના વિચાર અને તૈયારી અંગે પરસ્પર માહિતીની આપ-લે કરી હતી. સાર્ક દેશોના નેતાઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં પીએમ મોદીએ કહ્યું આપણા ક્ષેત્રમાં 150થી વધુ કોરોના વાયરસના મામલાની પુષ્ટી થઈ, પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂ છે. પીએમ મોદીએ કહ્યું, ભારતનો મંત્ર રહ્યો છે ‘ડરવું નહીં, તૈયાર રહેવુ’. આ મંત્રથી કોરોના વાયરસનો મુકાબલો કરી શકાય છે.




SAARC દેશોના નેતાઓની વીડિયો કોન્ફરન્સિંગમાં પીએમ મોદીએ કહ્યું અમે જુદા-જુદા દેશમાંથી આશરે 1400 ભારતીયોને બહાર કાઢ્યા છે. અમે અમારી પડોશી પહેલાની નીતિ અનુસાર તમારા કેટાલાક નાગરિકોની મદદ કરી છે.



પ્રધાનમંત્રી મોદીએ સાર્ક દેશોના નેતાઓને કહ્યું કે અમે કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી મધ્યમાં જ ભારતમાં પ્રવેશ કરનારા લોકોની તપાસ કરવાનું કામ શરૂ કર્યું હતું અને ધીમેધીમે મુસાફરી પર પ્રતિબંધ સહિતનો વધારો કરવામાં આવ્યો હતો.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરના વાયરસના કેસનો આંકડો હવે 108 પર પહોંચી ગયો છે, જ્યારે બે લોકોના મોત થયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ખતરનાક કોરોના વાયરસને લઈને ઘણા રાજ્યોએ મહામારી જાહેર કરી છે. ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કેંદ્ર સરકાર પણ પૂરી તૈયારીઓ કરી રહી છે.