નવી દિલ્હી: તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 110 કેસ મળ્યા છે. તમિલાનાડુના આરોગ્ય સચિવ બીલા રાજેશે જણાવ્યું કે, દિલ્હીમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાંથી 110 તમિલાનાડુમાં સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. હવે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 234 થઈ ગઈ છે.


બીલા રાજેશે જણાવ્યું કે, “દિલ્હી મરકજમાં ભાગ લેનારા જે લોકો અમારી અપીલ બાદ ટ્રીટમેન્ટ બાદ આગળ આવ્યા તેમનો આભાર. 1103 લોકો આગળ આવ્યા અને તેમાંથી 658 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાંથી 110નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ”



ઉલ્લેખીય છે કે, દિલ્હીના નિજામુદ્દીન મરકજમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ત્યાં ભેગા થયેલા અનેક લોકોમાં કોરોનાના લક્ષણ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ સહિત અને ટીમો પહોંચી હતી. બુધવારે મરકજની બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. જ્યાં લોકો રોકાયા હતા તે બિલ્ડિંગને સેનેટાઈઝ કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 2346 લોકો મરકઝમાંથી બહાર આવ્યા હતા.

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1966 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 54 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તે સિવાય 155 લોકો રિકવર પણ થઈ ચૂક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. આ રાજ્યમાં 325 કેસ આવી ચૂક્યા છે. તેના બાદ કેરળમાં 265 કેસ નોંધાયા છે.