નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરના વાયરસના કેસનો આંકડો હવે 108 પર પહોંચી ગયો છે, જ્યારે બે લોકોના મોત થયા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ખતરનાક કોરોના વાયરસને લઈને ઘણા રાજ્યોએ મહામારી જાહેર કરી છે. ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કેંદ્ર સરકાર પણ પૂરી તૈયારીઓ કરી રહી છે.


કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ કોરોના વાયરસનો ભય છે. યૂરોપમાં તો પરિસ્થિતિ ચીન કરતા પણ વધારે ખતરનાક બની છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં સંખ્યા વધીને 32 પર પહોંતી છે. જ્યારે તેલંગણામાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં અહીં ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે. આ રીતે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 108 પર પહોંચી છે. જેમાં 11 દર્દીઓ સાજા થઈ ગયા છે, જ્યારે બે લોકોના મોત થયા છે. કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 થઈ ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં 12 અને દિલ્હીમાં 7 દર્દીઓ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 લોકોનાં મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.