નવી દિલ્હીઃ કોરોનાના કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે શનિવારે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાનો કુલ આંકડો 25 પર પહોંચી ગયો છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં દિલ્હી, કેરળ, તેલંગણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક-એક લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં વધુ એકનું મોત નિપજ્યું છે. દેશભરમાં કુલ કેસનો આંકડો 1037એ પહોંચ્યો છે.




દેશમા કોરોનાના આંકડા પર એક નજર કરીએ તો, કેરળ-182, મહારાષ્ટ્ર-193, કર્ણાટક-81, તેંલાગાણા-67, ગુજરાત-58, રાજસ્થાન-54, ઉત્તર પ્રદેશ-65, દિલ્હી-49, પંજાબ-38, તમિલનાડુ-42, હરિયાણા-33, મધ્ય પ્રદેશ-34, જમ્મુ-કાશ્મીર-33, વેસસ્ટ બેંગલ-17, આંધ્ર પ્રદેશ-13, લદ્દાક-13, બિહાર-9, ચંદિગઢ-8, આંદમાન-નિકાબર- 9, છત્તિસગઢ-8, ઉત્તરાખંડ-6, ગોવા-3, ઓડિશા-3, હિમાચલ પ્રદેશ-3, મિજોરમ-1, પોંડેચેરી-1 અને મણિપુરમાં 1 કેસ સામે આવ્યો છે.



દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં પાંચ, ગુજરાતમાં પાંચ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં બે અને તામિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, કેરળ તથા હિમાચલ પ્રદેશમાં એકનાં મોતનો સમાવેશ થાય છે. દેશમાં હાલ સંક્રમિતોની સંખ્યા 1000ની પાર થઈ ગઈ છે. શનિવારે કોરોના સંક્રમણના દેશમાં 179 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.



પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા શુક્રવારે 151 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન આજે ઈરાનમાંથી 275 ભારતીયોને લઈને વિશેષ વિમાન રવિવાર સવારે રાજસ્થાનના જોધપુરમાં આવી પહોંચ્યું છે. આ લોકોને અહીં સેનાના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. આ પહેલા પણ ઈરાનમાંથી 277 ભારતીયોને લાવવામાં આવ્યા હતા.



કોરોના વાયરસના કારણે ગુજરાતના અમદાવાદમાં વધુ એકનું મોત નિપજ્યું છે. આની સાથે ગુજરાતમાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. મધ્યપ્રદેશમાં 4 કેસ ઈન્દોરમાં અને 1 કેસ ઉજ્જૈનમાં સામે આવ્યા છે.