નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સાંજે સાડા પાંચ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ,છેલ્લા 24 કલાકમાં 2573 નવા કેસ સામે આવ્યા છે અને 83 લોકોના મોત થયા છે.


અત્યાર સુધીમાં 42836 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 11762 દર્દી સ્વસ્થ થયા છે અને 1389 લોકોના મોત થયા છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આજે જણાવ્યું કે કોરોના વાયરસથી સ્વસ્થ થવાનો રિકવરી દર 28 ટકા છે.



લોકડાઉન 3માં આપવામાં આવેલી થોડી છૂટને લઈને તેમણે કહ્યું કે જો નિયમોનું પાલન નહી કરવામાં આવે તો ફરી કેસ વધી શકે છે. જે જિલ્લાઓમાં કોરોનાના કેસ નથી ત્યાં કેસની પુષ્ટી થશે તો તમામ છૂટ પરત લેવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, કોવિડ-19ના કેસ વધવાની ઝડપ ધીમી થઈ છે, જો આપણે સાથે મળીને કામ કરશું તેમાં ખૂબ વધારો નહીથાય, પરંતુ આપણે અસફળ થયા તો કેસ વધી શકે છે.

આંધ્રપ્રદેશમાં 1650, અંદમાન નિકોબારમાં 33, અરૂણાચલ પ્રદેશમાં એક, આસામમાં 43, બિહારમાં 517, ચંડીગઢમાં 94, છત્તીસગઢમાં 57, દિલ્હીમાં 4549,ગોવામાં 7, ગુજરાતમાં 5428,હરિયાણામાં 442, હિમાચલ પ્રદેશમાં 40, જમ્મુ કાશ્મીરમાં 701 પોઝિટિવ કેસ છે.

ઝારખંડમાં 115,કર્ણાટકમાં 642, કેરલમાં 500, લદાખમાં 41, મધ્યપ્રદેશમાં 2942, મહારાષ્ટ્રમાં 12974, મણિપુરમાં 2, મેઘાલયમાં 12, મિઝોરમમાં એક, ઓરિસ્સામાં 163 દર્દીઓ કોરોના પોઝિટિવ છે.