નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccination) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,15,736 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 630 લોકોના મોત થયા છે. જોકે 59,856 લોકો ઠીક પણ થયા છે.  



  • કુલ કેસ-  એક કરોડ 28 લાખ 01 હજાર 785

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 92 હજાર 135

  • કુલ એક્ટિવ કેસ - 8 લાખ 43 હજાર 473

  • કુલ મોત - એક લાખ 66 હજાર 177


8.70 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 70 લાખ 77 હજાર 474 ડોઝ આપવામાં આવ્યા છે.


છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ



  • 7 માર્ચઃ 1,15,736

  • 6 માર્ચઃ 96,982

  • 5 માર્ચઃ 1,03,558


દેશમાં કયા રાજ્યમાં ક્યા પ્રતિબંધો


મહારાષ્ટ્રઃ રાજ્યમાં વીકેંડ લોકડાઉન છે અને રાત્ર 8 થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવાયો છ. સ્કૂલ-કોલેજ બંધ, રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ, લગ્નમાં માત્ર 50 લોકો, હોટલ-રેસ્ટોરંટમાં માત્ર પાર્સલ સિસ્ટમને મંજૂરી.


ગુજરાતઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગઈકાલે રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સુરતથી આવ્યા બાદ મુખ્યમંત્રીએ સીધા જ કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કૉંફ્રેસના માધ્યમથી ચર્ચા કરી ત્યારબાદ હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. જેમાં આઠ મહાનગર ઉપરાંત 12 શહેરમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ નો નિર્ણય કરાયો હતો. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. મોટા મેળવડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  દિવસના કર્ફ્યુ મુદ્દે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા રહેશે.  શનિ-રવિ રાજકીય અને સામાજિક કાર્યક્રમ બંધ રહેશે.


દિલ્હીઃ દિલ્હીમાં  રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આદેશ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. નિયમો લોકોની મૂવમેન્ટ પર લાગુ થશે. જ્યારે જરૂરી વસ્તુઓ અને સેવાઓ પર લાગુ નહીં થાય.


ઉત્તરપ્રદેશઃ ધો 8 સુધીના તમામ વર્ગો 11 એપ્રિલ સુધી બંધ, જાહેર કાર્યક્રમોમાં 100 લોકો હાજર રહી શકશે.


રાજસ્થાનઃ રાજ્યના 10 શહેરોમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ, ધો.10 સુધીના વર્ગો બંધ, જાહેર કાર્યક્રમમાં 50 થી 100 લોકોને મંજૂરી.


પંજાબઃ રાજ્યના 9 શહેરોમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ, સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટમાં માત્ર પાર્સલ સુવિધા જ ઉપલબ્ધ.


મધ્યપ્રદેશઃ રાત્રે 10 થી સવારે 5 સુધી જબલપુર, ભોપાલ અને ઈન્દોરમાં કર્ફ્યૂસ સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટ અને પબ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા. જાહેર કાર્યક્રમમાં 50 ટકા લોકને મંજૂરી.


છત્તીસગઢઃ 27 જિલ્લામાંથી 16 જિલ્લામાં રાત્રે 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ, જાહેર કાર્યક્રમો અને લગ્નોમાં 50 લોકોને જ મંજૂરી, વાહનમાં પણ 50 ટકા લોકો બેસવાને મંજૂરી.


ઝારખંડઃ ધોરણ સાત સુધીના તમામ વર્ગો બંધ. જાહેર કાર્યક્રમો અને લગ્નોમાં ખુલ્લા સ્થળે 1000 અને બંધ સ્થળે 500 લોકોને મંજૂરી.