કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની જાહેરાત- ભારતમાંથી હજ કરનારા લોકોને આપવામાં આવશે કોરોના વેક્સીન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2021 04:11 PM (IST)
નકવીએ કહ્યું કે, ભારતમાંથી હજ પર જનારા લોકો માટે કેન્દ્ર સરકાર કોરોના વેક્સીન લગાવવાની વ્યવસ્થા કરી રહી છે.
ફાઈલ ફોટો
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જાહેરાત કરી છે કે, ભારતમાંથી હજ પર જનારા લોકો માટે કેન્દ્ર સરકાર કોરોના વેક્સીન લગાવવાની વ્યવસ્થા કરી રહી છે. સાઉથ મુંબઈના હજ હાઉસમાં હજ કમિટી ઓફ ઈન્ડિયા અને હજ ગ્રુપ ઓર્ગેનાઈઝર્સની બેઠકમાં નકવીએ જાહેરાત કરી હતી. કેન્દ્રીય લઘુમતી મામલાના મંત્રી નકવીએ કહ્યું કે, હજ કરનાર લોકો માટે અરજી કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આવેલા આવેદનમાંથી 50 ટકા આવેદનકર્તા મહિલાઓ છે અને 700થી વધુ મહિલાઓ મેહરમ કેટેગરી(પુરુષ સહયોગી સાથે) હેઠળ આવેદન કર્યું છે. મેહરમ કેટેગરી હેઠળ વર્ષ 2020માં લગભગ 2100થી વધુ મહિલાઓએ અરજી કરી હતી. તેમની ઓફિસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે હજ 2020 માટે જે મહિલાઓએ મેહરમ કેટેગરી સાથે આવેદન કર્યું હતું. તેમનું આવેદન પણ હજ 2021 માટે માન્ય ગણાશે. કોરોના મહામારીના કારણે ગત વર્ષ જૂનમાં સાઉદી અથોરિટીઝે જાહેરાત કરી હતી કે, બહારના લોકોને સાઉદી અરબમાં હજ માટે આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ વર્ષે હજ જુલાઈમાં થશે.