લખનઉઃ ભારતમાં પણ ધીમે ધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આંકડો 280ને પાર કરી ગયો છે. ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાથી સંક્રમતિ લોકોની સંખ્યા 25 પર પહોંચી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેના કેટલાક મંત્રીઓ પણ સંક્રમિત હોવાની આશંકાને લઈ જરૂરી દિશા નિર્દેશો જાહેર કર્યા છે.


સીએમ યોગીએ મંત્રીઓ માટે આદેશ જાહેર કરતા કહ્યું, જો જરૂરી હોય તો જ બહાર નીકળજો. જનતા દરબારમાં પણ ન આવતાં અને સંક્રમણની આશંકાથી ખુદને આઇસોલેશનમાં રાખો. તેમણે કહ્યું, કોરોનાથી સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે. સમગ્ર દેશમાં સાવધાની રાખવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ પણ પૂરી રીતે સજાગ છે. કોઈપણ સ્થિતિમાં સંક્રમણ રોકવા માટે આગળ આવવું પડશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાથી સંક્રમિત બોલિવૂડ સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી પણ સામેલ થયા હતા. તેમણે અનેક નેતાઓ અને મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાને જોતાં રાજ્ય સરકારે કેટલાક ફેંસલા લીધા છે. જે અંતર્ગત 31 માર્ચ સુધી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં બિન જરૂરી ઓપીડી અને તપાસને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત લખનઉ, નોએડા અને કાનપુરને સેનિટાઇઝ કરવાનો ફેંસલો લીધો હતો. આ ઉપરાંત યોગી સરકારે રાજ્યભરમાં તમામ શોપિંગ મોલ્સને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.