નવી દિલ્હીઃ ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટવાથી કોરોના સંક્રમણના મામલા વધી શકે છે. આ દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે. IIT-ભુવને્વરના માઇક્રોબાયોલોજી વિભાગના બિજયિની બી અને વૈજયંતિમાલા એમ દ્વારા સંયુક્ત રીતે આ સ્ટડી કરવામાં આવ્યો હતો. જે મુજબ ચોમાસા અને શિયાળામાં તાપમાન ઘટવાથી કોરોનાના મામલા ઝડપથી વધી શકે છે. આ સ્ટડીનું  ટાઇટલ ભારતમાં કોવિડ-19નો પ્રસાર અને તાપમાન છે.


ક્યારે કરવામાં આવ્યો સ્ટડી

આ સ્ટડી એપ્રિલથી જૂન વચ્ચે 28 રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં ખબર પડી કે તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ વધવાના કારણે મામલામાં 0.99 ટકા ઘટાડો થાય છે અને મામલા બમણા થવાનો સમય 1.13 દિવસ સુધી વધી જાય છે. જોકે સ્ટડી હજુ તેના પ્રી પ્રિંટ તબક્કામાં છે.

કેવી રીતે કરી શકો છો બચાવ

કોરોના વાયરસથી બચવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સંક્રમણથી બચવા સમયાંતરે હાથ ધોતા રહેવા જરૂરી છે. સંક્રમિત વ્યક્તિ પાસે જવાથી જીવાણુયુક્ત કણ શ્વાસ માર્ગે શરીરમાં જઈ શકે છે. છીંકવાથી કે ઉધરસ ખાવાથી પણ બારીક કણ હવા દ્વારા ફેલાય છે. આ કણ આસપાસના વ્યક્તિ કે ચીજો પર ચોંટી જાય છે.

તેથી ઉધરસ કે છીંક ખાતા વ્યક્તિથી અંતર જાળવી રાખવું જોઈએ. આવા લોકોએ ટિશ્યૂનો ઉપયોગ કરવો જોઈએ. હાથ ધોયા વગર નાક કે આંખને સ્પર્શ ન કરવો જોઈએ. માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ. પાલતુ કે જંગલી જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 681 લોકોના મોત થયા છે અને 40,425 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે નોંધાયેલા સંક્રમિતો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,18,043 પર પહોંચી છે અને 27,497 લોકોના મોત થયા છે. 7,00,087 લોકો સાજા થઈ ગયા છે અને 3,90,459 એક્ટિવ કેસ છે.