નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, સતત મોતનો આંકડો વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાએ 50 લોકોના જીવ લઇ લીધા છે, આને લઇને સરકારની ચિંતા સતત વધી રહી છે.


દેશમાં કૉવિડ-19થી મરનારાઓની સંખ્યાનો આંકડો 640 પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 640 લોકો મૃત્યુ પામ્યા છે.

જ્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 19,984 પર પહોંચી ગઇ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,383 નવા કેસો પણ નોંધાયા છે, અને 50 લોકોના જીવ પણ ગયા છે.

જોકે, થોડી રાહતવાળી વાત એ છે કે આ બિમારીથી અત્યાર સુધી 3,870 દર્દીઓ ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને ફેલાવવા માટે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે, જે 3 મે સુધી ચાલુ રહેશે.