નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે ઘણુંબધું બદલાઈ ગયું છે અને હજુ પણ ઘણાં ફેરફાર આવવાના છે. હવે તમારી આસ્થા અને ભક્તિની રીતભાત પણ બદલાઈ જવાની છે જેની શરૂઆત 8 જૂનથી થવા જઈરહી છે. 8 જૂનથી કન્ટેનમેન્ટ ઝોનની બહાર દેશના ધાર્મિક સ્થળો ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી છે. હવે તેના માટે એક નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારા અથવા ચર્ચ જ્યાં પણ તમે પૂજા અથવા ઇબાદત કરો છો ત્યાં હવે બધું પહેલા જેવું નહીં રહે.


8 જૂનથી ધાર્મિક સ્થળોમાં શું શું બદલાઈ જશે?

અનલોક શરૂ થતા જ દેશમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા અને ગિરજાઘરો માટે નવા નિયમો લાગુ થશે. કોરોના કાળમાં હાલમાં મંદિરોની અંદર હવે શ્રદ્ધાળુઓને ન તો પ્રસાદ મળશે, કે ન તો ચરણામૃત વહેંચવામાં આવશે. 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી જે નવી ગાઈડલાઈન આવી છે તેમાં અનેક પ્રકારના પ્રતિબંધોનો ઉલ્લેખ છે.

નવી ગાઈડલાઈન અનુસાર જોતમે મંદિરમાં જઈ રહ્યા છો તો મૂર્તિઓને સ્પર્શ નહીં કરી શકો. ધાર્મિક પુસ્તકો અથવા પૂજા સ્થળને સ્પર્શ કરવાની પણ મનાઈ હશે.

મંદિરોમાં મોટેભાગે લાગતી લાઈનો પણ કોરોનાકાળમાં બદલાઈ જશે. ધાર્મિક સ્થલોમાં ભીડની મનાઈ છે. એટલું જ નહીં જો તમે ધાર્મિક સ્થળ પર લાઈનમાં ઉભા છો તો એક બીજાથી અંદાજે 6 ફૂટથી વધારે અંતર રાખવું જરૂરી છે. શ્રદ્ધાળુઓ માટે માસ્ક અથવા ફેસ કવર કરવાનું ફરજિયાત હશે. તમારા ફોન પર આરોગ્ય સેતુ એપ રાખવાની પણ સલાહ આપવામાં આવી છે જે.

સરકારની નવી ગાઈડલાઈનમાં ધાર્મિક સ્થળોને પણ કેટલાક જવાબદારી આપવામાં આવી છે. ધાર્મિક સ્થલોમાં આવનાર દરેક શ્રદ્ધાળુનું થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. પ્રવેશ દ્વાર પર અને બહાર નીકળવાના રસ્તા પર હેન્ડ સેનેટાઈઝરની સુવિધા રાખવી પડશે. શ્રદ્ધાળુઓની લાઈન હોય તે જગ્યાએ માર્કિંગ કરવામાં આવશે. ધાર્મિક સ્થળોમાં આવવા જવા માટે અલગ રસ્તાની વ્યવસ્થા થાય.

સરકારની નવી ગાઇડલાઈનમાં ધાર્મિક સ્થળોની અંદર જતા પહેલા હાથ અને પગ સાબુથી ધોવાની સલાહ પણ આપવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેલી દુકાનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.