Covid19: ચીનથી ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલે પહોંચવાની સંભાવના-સરકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Apr 2020 06:30 PM (IST)
ચીનથી કોરોના વાયરસની ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલે ભારત પહોચવાની સંભાવના છે.
નવી દિલ્હી: ચીનથી કોરોના વાયરસની ટેસ્ટિંગ કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલે ભારત પહોચવાની સંભાવના છે. સરકારે આજે આ વાતની જાણકારી આપી હતી. આજે સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદમાં આઈસીએમઆરના અધિકારી આર ગંગાખેડકરે કહ્યું અત્યાર સુધીમાં બે લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમારી પાસે આગામી છ સપ્તાહ સુધી ટેસ્ટ ચાલુ રહી શકે તેટલી સંખ્યામાં પર્યાપ્ત ભંડાર છે. ગંગાખેડકરે કહ્યું કે રવિવાર સુધી ભારતમાં 206212 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આ સાથે જ ચિતા કરવાની કોઈ જરૂર નથી. જે સ્પીડથી આજે આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ, આપણી પાસે એક સ્ટોક છે જેની સાથે આપણે આગામી છ સપ્તાહ સુધી ટેસ્ટ કરી શકીએ છીએ. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું દેશના કેટલાક જિલ્લાઓએ કોરોના સંક્રમણના પ્રસારને નિયંત્રિત કરી લીધો છે. આ ક્ષેત્રોમાં છેલ્લા 14 દિવસમાં સંક્રમણનો કોઈ નવો કેસ નથી નોંધાયો. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 324 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત દર્દીઓનો આંકડો નવ હજારને પાર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મજુબ, દેશમાં 9352 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામે લડી 979 દર્દીઓ સ્વસ્થ થયા છે.