નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે કહ્યુ કે કોરોના વાયરસના સંક્રમણને લઇને દેશમાં પાંચ શહેરોન સ્થિતિ ગંભીર છે. ગૃહ મંત્રાલયે કહ્યુ કે, મુંબઇ, પૂણે, ઇન્દોર, જયપુર, કોલકત્તા અને પશ્વિમ બંગાળના કેટલાક વિસ્તારો વિશેષ રીતે ગંભીર છે અને  લોકડાઉનના  નિયમોના  ભંગના કારણે કોરોના  વાયરસ ફેલાવવાનો ખતરો છે.




ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે કોવિડ-19 સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હિંસા, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાનો ભંગ અને શહેરી વિસ્તારોમાં વાહનોની અવરજવરના અનેક કેસ સામે આવ્યા છે. જેને રોકવું જોઇએ.  કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, કોવિડ-19ના કારણે મરનારાઓની સંખ્યા વધીને 543 પર પહોંચી ગઇ છે.



ગૃહ મંત્રાલયે કહ્યુ કે, મધ્યપ્રદેશના ઇન્દોર, મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે, રાજસ્થાનના જયપુર અને પશ્વિમ બંગાળના કોલકત્તા, હાવડા, પૂર્વી મેદિનીપુર, ઉત્તર 24 પરગના, દાર્જિલિંગ, કલિમ્પોંગ અને જલપાઇગુડીમાં સ્થિતિ વિશેષ રીતે ગંભીર છે. મંત્રાલયે કહ્યુ કે લોકડાઉનના નિયમોનો ભંગ થતી ઘટનાઓ સામે આવ્યા બાદ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો પેદા થયો છે અને કોવિડ-19 ફેલાવવાનો પણ ખતરો વધ્યો છે.



કેન્દ્ર સરકારે આ સ્થળોમાં કોરોના સંબંધિત સ્થિતિની સમીક્ષા કરવા અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્વિમ બંગાળ સહિતના ચારેય રાજ્યો માટે જરૂરી દિશાનિર્દેશો માટે છ આંતર મંત્રાલયોની કેન્દ્રિય ટીમો બનાવી છે. આ ટીમ કેન્દ્ર સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. આ ટીમ દિશાનિર્દેશોનું પાલન કરવા, આવશ્યક ચીજોની સપ્લાય, સોશિયલ ડિસ્ટેન્સિંગ, સ્વાસ્થ્ય સંબંધિત માળખાકીય તૈયારીઓ, સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાને લઇને સમીક્ષા કરશે