નવી દિલ્હી:  દેશમાં કોરોના કેસો રોકેટ ગતિથી વધી રહ્યા છે. માર્ચ મહિનામાં કોરોનાએ સ્પીડ પકડી છે. દેશમાં રસીકરણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે કેટલાક કિસ્સામાં રસી લીધા પછી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે એઇમ્સના ડાયરેક્ટર ડો.ગુલેરિયાએ જવાબ આપ્યો છે.


એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે કહ્યું કે કોવિડ-19 રસી 8થી 10 મહીના સુધી સંક્રમણથી સુરક્ષા આપવામાં સક્ષમ હોઈ શકે છે. તેમણે એ પણ કહ્યું કે રસીથી કોઈ મોટું નુકસાન થાય તેવું સામે નથી આવ્યું. 


ડૉ રણદીપ ગુલેરિયાએ આઈપીએસ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, કોવિડ-19ની રસી આઠથી દસ મહિના સુધી સંક્રમણથી સંપૂર્ણ રીતે સુરક્ષા આપવામાં સક્ષમ થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે રસીનો કોઇ મોટો દુષ્પ્રભાવ સામે નથી આવ્યો.  કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેનું સૌથી મોટુ કારણ છે કે લોકોને લાગી રહ્યું છે કે મહામારી ખતમ થઈ ગઈ છે અને કોવિડથી બચાવના નિયમોનું પાલન નથી કરી રહ્યા.


એઈમ્સના ડિરેકટર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું, લોકોએ પોતાની માનસિકતા બદલીને હજુ થોડાક વધુ સમય માટે બિન-જરુરી યાત્રાને સ્થગિત કરવી જોઇએ. નીતિ આયોગના સભ્ય વી.કે.પૉલે ક્હ્યું કે સંક્રમણની કડીને રોકવી પડશે અને આના માટે રસી એક સાધન છે. પરંતુ બીજો ઉપાય છે અટકાવ અને તપાસ. લાપરવાહીથી કેસો વધી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અમારી પાસે રસીનો પુરવઠો અસીમિત માત્રામાં હોત તો બધા માટે રસીકરણ શરુ કરી દીધું હોત. આ જ કારણ છે કે બધાને રસી નથી લગાવાઇ રહી. વૃદ્ધોએ રસી લેવામાં વિલંબ ન કરવો જોઇએ.


16 જાન્યુઆરીથી શરૂ થયું હતું રસીકરણ અભિયાન



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી, જે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હતું. તેમાં સૌથી પહેલા 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાની શરૂઆત થઈ હતી. હાલમાં દેશભરમાં 4 કરોડથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.