Cow National Animal Demand: ગૌહત્યા અને ગૌરક્ષાના નામે દેશમાં અવારનવાર વિવાદો અને હિંસાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ મુદ્દે હવે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ બુધવારે (20 મે, 2026) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવાની પોતાની જૂની માંગને ફરીથી દોહરાવતા સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે દેશની મોટી વસ્તી ગાયને પવિત્ર માનીને 'માતા'નો દરજ્જો આપે છે, તો પછી તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં સરકારની કઈ રાજકીય મજબૂરી આડી આવી રહી છે? મદનીએ સ્પષ્ટ કહ્યું કે જો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે તો મુસ્લિમોને કોઈ વાંધો નહીં હોય, બલ્કે તેમને ખુશી થશે કે ગાયના નામે થતા મોબ લિંચિંગ અને નિર્દોષો પર હુમલા બંધ થશે.
ગાયના નામે રમાઈ રહ્યું છે રાજકારણ
મૌલાના મદનીએ આક્ષેપ કર્યો છે કે ગાયનો મુદ્દો હવે માત્ર એક રાજકીય અને ભાવનાત્મક મુદ્દો બની ગયો છે. કેટલાક લોકો જાણીજોઈને ગૌહત્યાની અફવાઓ ફેલાવે છે અને પશુ તસ્કરીના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. સતત ફેલાવાતા જૂઠાણાને કારણે મુસ્લિમોની છબી એટલી ખરડાઈ ગઈ છે કે સમાજનો મોટો વર્ગ તેમને 'ગાય વિરોધી' માનવા લાગ્યો છે, અને આ જ માનસિકતા મોબ લિંચિંગનું મુખ્ય કારણ છે.
2014 પછી મુસ્લિમોએ ગાયને બદલે ભેંસ ઉછેરવાનું શરૂ કર્યું
પોતાની વાતને આગળ વધારતા મદનીએ કહ્યું કે, અગાઉ મોટી સંખ્યામાં મુસ્લિમો ગાય પાળતા હતા અને તેના દૂધનો વેપાર પણ કરતા હતા. પરંતુ 2014 પછી દેશમાં જે નફરતનો માહોલ ઊભો થયો છે, તેના કારણે મુસ્લિમો ડરી ગયા છે અને સાવચેતી રાખી રહ્યા છે. હવે મોટાભાગના મુસ્લિમો ગાયને બદલે ભેંસ ઉછેરવાનું વધુ સુરક્ષિત માને છે. તેમણે યાદ અપાવ્યું કે જમિયત ઉલેમા-એ-હિન્દ હંમેશા મુસ્લિમોને એવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપે છે જેનાથી અન્ય ધર્મોની લાગણીઓ દુભાય, કારણ કે ઇસ્લામ પણ પરસ્પર આદર શીખવે છે.
જો દેશ એક છે, તો ગૌમાંસના કાયદા અલગ-અલગ કેમ?
UCC (યુનિફોર્મ સિવિલ કોડ) ની ચર્ચા વચ્ચે મદનીએ ગૌમાંસના કાયદા પર સરકારના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, "એક તરફ કહેવાય છે કે દેશ એક છે તો કાયદો પણ એક હોવો જોઈએ, તો બીજી તરફ પશુ હત્યાના કાયદા દરેક રાજ્યમાં અલગ-અલગ છે. દેશના ઘણા રાજ્યોમાં ખુલ્લેઆમ ગૌમાંસ ખવાય છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી."
વધુમાં તેમણે કહ્યું કે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે ત્યાં ગાયના નામે રાજકારણ રમાય છે, પરંતુ જ્યાં ભાજપ સત્તામાં છે ત્યાંના નેતાઓ કહે છે કે તેઓ જર્સી ગાય (મિથુન) નું માંસ ખાય છે. મદનીએ ભારપૂર્વક કહ્યું કે અમારી માત્ર એટલી જ માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરીને આ વિવાદનો કાયમી ઉકેલ લાવવામાં આવે, અને જે પણ કાયદો બને તે કોઈપણ ભેદભાવ વિના આખા દેશમાં સમાન રીતે લાગુ પડે.
