ગુરુગ્રામઃ સીપીએમ નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કરીને જાણકારકી આપી છે કે તેમના દીકરા આશીષ યેચુરીનું આજે સવારે કોરોના વાયરસને કારણે નિધન થયું છે. આશીષ કોરોના વાયરસથી સંક્રમિત હતા, ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.


આશીષ યેચુરીની ઉંમર 35 વર્ષની હતી. અંદાજે બે સપ્તાહથી તેની સારવાર ચાલી રહી હતી. સ્થિતિ ગંભીર થયા બાદ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેને બચાવી ન શખાયા. આશીષ ઉપરાંત સીતારામ યેચુરીના પરિવારમાં તેમના પત્ની અને દીકરી છે.


સીતારામ યેચુરીએ પોતાના ટ્વીટમાં લખ્યું, “ખૂબ જ દુખ સાથે મારે એ કહેવું પડી રહ્યું છે કે મેં મારા દીકરા આશીષ યેચુરીને કોરોનાને કારણે આજે સવારે ગુમાવી દીધો છે. હું એ બધાનો આભાર માનું છું જેમણે અમને આશા આપી અને જેમણે તેની સારવાર કરી. ડોક્ટર્સ, નર્સ, સ્વાસ્થ્યકર્મી, સ્વચ્છતા કાર્યકર્તા અને અન્ય લોકો જે અમારી સાથે ભા રહ્યા...”


દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી એકે વાલિયાનું કોરોનાથી નિધન


આ પહેલા આજે સવારે અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસના સીનિયર નેતા એક વાલિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહેલ વરિષ્ઠ કોંગ્રેસ નેતા એક વાલિયાનું આજે સવારે નિધન થયું. એક વાલિયા પણ કોરોનાથી સંક્રમિત હતા. એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. વાલિયા દિલ્હીની શીલા દીક્ષિત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે.


દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 21 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 56 લાખ 16 હજાર 130

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039

  • કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538

  • કુલ મોત - 1 લાખ 82 હજાર 553