દવાની દુકાનોમાં નહીં મળે કોરોનાની વેક્સીન. કેંદ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, દેશમાં અત્યારસુધી 13 કરોડથી વધુ લોકોએ રસી લીધી છે. સરકાર રાજ્યોને વેક્સીન આપતી રહેશે. પરંતુ, સરકારી વેક્સીનેશન સેંટર પર જ રસી મળશે. વેક્સીન માટે તમામ લોકોએ કોવિન-એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


મંત્રાલયે વેક્સીનેશનની આડઅસરને લઈને પણ વાત કરી અને કહ્યું, દેશમાં કોવેક્સીનના 1.1 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં પહેલા ડોઝ લીધા બાદ 4 હજાર 208 અને 695 બીજા ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ થયા છે. કોવિશિલ્ડ વેક્સીન દેશમાં 11.6 કરોડ લોકોને આપવામાં આવી છે. જેમાંથી 17 હજાર 145 પહેલા ડોઝ લીધા બાદ અને બીજા ડોઝ લીધા બાદ 5 હજાર 14 લોકો પોઝિટિવ થયા છે.


કેંદ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં આ સમયે 21 લાખ 57 હજાર એક્ટિવ કેસ છે. જે ગયા વર્ષની સરખામણીએ બે ગણા છે અને 146 જિલ્લામાં સ્થિતિ ખુબ ચિંતાજનક છે..308 જિલ્લામાં સ્થિતિ કાબૂમાં છે. ભારત સરકારના નિર્દેશ બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિનની કિંમતની જાહેરાત કરી છે. રાજ્ય સરકારોને કોવિશીલ્ડ વેક્સિનના પ્રતિ ડોઝ માટે 400 રૂપિયા અનેે ખાનગી હોસ્પિટલોએ પ્રતિ ડોઝ 600 રૂપિયા ચુકવવા પડશે.


સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, "આવતા બે મહિના સુધી અમે રસીની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીશું. અમારી ક્ષમતાનો 50 ટકા હિસ્સો ભારત સરકારના રસીકરણ અભિયાનને આપવામાં આવશે અને બાકીનો 50 ટકા રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે રહેશે. કંપનીએ કહ્યું છે કે તેની રસી અન્ય તમામ રસીઓની તુલનામાં સસ્તી છે. અમેરિકન કંપની ફાઇઝર અને મોડર્નાની રસીનો ભાવ 1500 છે. સ્પુતનિક વીની કિંમત ડોઝ દીઠ 750 રૂપિયા છે.


દેશમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના દરેક લોકોને કોરોનાની રસી અપાશે. કોવેક્સિન માટે ભારત બાયોટેકને 1500 કરોડ અને કોવિશીલ્ડ માટે સીરમને 3000 કરોડ કેન્દ્ર આપશે.