CRPF training to VDC in J&K:  આતંકવાદીઓનો મુકાબલો કરવા માટે CRPF હવે જમ્મુ અને કાશ્મીરના ગ્રામજનોને હથિયારોની ટ્રેનિંગ આપવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓની મોટી ટાર્ગેટ કિલિંગ બાદ સરકારે આ મોટો નિર્ણય લીધો છે.


CRPFના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લાના ગ્રામ સંરક્ષણ સમિતિ (VDC)ના સભ્યોને હથિયારો ચલાવવાની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ એવા વીડીસી સભ્યોને આપવામાં આવશે જેમની પાસે પોતાનું હથિયાર છે અને હથિયાર ચલાવવાનું લાઇસન્સ પણ છે. અધિકારીએ સ્પષ્ટપણે કહ્યું કે સીઆરપીએફ અને સરકાર વીડીસી સભ્યોને હથિયાર નહીં આપે. આ ટ્રેનિંગ એવા લોકોને આપવામાં આવશે જેમની પાસે પહેલાથી જ હથિયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય પોલીસ વીડીસીના સભ્યોને હથિયાર ચલાવવાની તાલીમ પણ આપશે.


સરકાર VDCને મજબૂત કરી રહી છે


હકીકતમાં 1 જાન્યુઆરીએ જ્યારે આતંકવાદીઓએ રાજૌરીના ધનગરી ગામમાં 3 ઘરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, ત્યારે ત્યાં હાજર વીડીસી સભ્ય બાલ કિશને તેમની 303 રાઇફલથી વળતો જવાબ આપ્યો હતો. બાલ કિશનના ફાયરિંગ બાદ આતંકીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરંતુ આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતા. બીજા જ દિવસે આતંકવાદીઓ દ્વારા ત્યાં લગાવવામાં આવેલા IED બ્લાસ્ટમાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.  મૃત્યુ પામેલાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બાલ કિશનની બહાદુરી જોઈને સરકારે VDCને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે જેથી જરૂર પડ્યે આતંકવાદીઓ સામે લડી શકાય.






CRPFની 18 કંપનીઓ અહીં મોકલવામાં આવી હતી


1-2 જાન્યુઆરીની આતંકવાદી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે રાજૌરી અને પૂંચ જિલ્લામાં સુરક્ષા વધારવા માટે CRPFની 18 કંપનીઓ (લગભગ 1800 કર્મચારીઓ) મોકલવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓ જમ્મુ અને કાશ્મીર પોલીસને કાશ્મીર ખીણની જેમ જ જમ્મુ ક્ષેત્રના રાજૌરી અને પૂંછ જિલ્લામાં રોડ ઓપનિંગ પાર્ટી (ROP) અને રોડ નાકાબંધી કરવામાં મદદ કરશે.