નવી દિલ્હીઃ કોંગ્રેસમાં નેતૃત્વ અંગે ચર્ચા કરવા માટે બોલાવાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ મોટો ધડાકો કરતાં કોંગ્રેસ પ્રમુખપદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહે સોનિયા ગાંધીને પોતાનો નિર્ણય બદલવા વિનંતી કરી હતી. ડો. મનમોહનસિંહે સોનિયાને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી હતી.


બેઠકમાં સોનિયા ગાંધી જ કોંગ્રેસના વચગાળાના પ્રમુખ તરીકે રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સોનિયા ગાંધી વધુ છ મહિના માટે વચગાળાના પ્રમુખની જવાબદારી સંભાળશે તેના પર હાલ બધા સહમત થયા છે. છ મહિના બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે.



બેઠક શરૂ થઈ તે પહેલા પક્ષના ઘણા કાર્યકર્તાઓ પાર્ટી કાર્યાલાય બહાર એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્ર થયેલા કાર્યકર્તા જગદીશ શર્માએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું,  અમે પક્ષ પ્રમુખ તરીકે ગાંધી પરિવારને જ ઈચ્છીએ છીએ. જો બહારના કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવાશે તો પક્ષ વેરવિખેર થઈ જશે.

CWCની વીડિયો કોન્ફરન્સિંગથી યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધી, ડો. મનમોહનસિંહ ઉપરાંત પ્રિયંકા ગાંધી, અહેમદ પટેલ, એ.કે. એન્ટની, કેપ્ટન અમરિન્દરસિંહ, ભુપેશ બઘેલ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.