ભુવનેશ્વરઃ વાવાઝોડા ‘ફાની’એ ઓડિશામાં કહેર વર્તાવ્યો છે. પુરીના દરિયાકાંઠે પહોંચેલા ‘ફાની’એ અનેક જગ્યાએ તબાહી મચાવી છે. રાજ્યમાં ભારે વરસાદ સાથે વાવાઝોડુ અને 245 કીમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. આ ચક્રવાતી વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ લઇ લેતા રાજ્યમાં અનેક જગ્યાએ ઘરો પડી ગયા છે, તો ક્યાંક ઝાડ ઉખાડી દીધા છે.




ચક્રવાતી વાવાઝોડાના કારણે રાજ્યમાં સતત એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે.



‘ફાની’ને લઇને રાજ્યમાં તંત્ર દ્વારા યુદ્ધના સ્તરે બચાવ અભિયાન શરૂ થઇ ગયુ છે. અત્યાર સુધી 11 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે.



હવામાન ખાતા અનુસાર, ફેનીની અસર ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, સિક્કીમ, તામિલનાડુ અને પોન્ડીચેરીમાં થઇ શકે છે. હવામાન ખાતેએ એક એલર્ટ જાહેર કરતાં કહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં 2જી અને 3જી મેએ વાવાઝોડુ અને વરસાદ થઇ શકે છે.



ફાનીને ધ્યાનમાં રાખીને રેલવેએ 223 ટ્રેનો રદ્દ કરી દીધી છે. પર્યટકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા માટે ત્રણ વિશેષ ટ્રેનો મુકવામાં આવી છે.



તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. બચાવ કામગીરી માટે NDRFની 81 ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.