Cyclone Michaung: સાયક્લોન મિચોંગ સોમવારે (4 ડિસેમ્બર) ના રોજ ગંભીર તોફાનમાં પરિવર્તિત થશે. તે નેલ્લોરથી 80 કિમી દક્ષિણ-પૂર્વમાં અને ચેન્નઈથી 120 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં કેન્દ્રિત છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોન મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના બાપટલા નજીક નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાઈ શકે છે. આ સાયક્લોન આવતીકાલે બપોરે નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે.


સાયક્લોન મિચોંગ હાલમાં બંગાળની ખાડી પર ફરી રહ્યું છે અને આંધ્રના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તીવ્ર ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ મધ્ય અને નજીકના દક્ષિણ આંધ્ર પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુ તરફ આગળ વધ્યું છે. આ દરમિયાન તેની ઝડપ 12 કિમી પ્રતિ કલાક હતી.


જેના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, ચેન્નઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, નાગાપટ્ટીનમ, તિરુવલ્લુર અને કુડ્ડાલોર જિલ્લાઓ સહિત ઉત્તરીય તટીય તમિલનાડુમાં ભારે વરસાદ નોંધાયો હતો.


ચેન્નઈમાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે


ચેન્નઈ પોલીસે વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ત્રણ મૃત્યુની નોંધ કરી છે. ચેન્નઈના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત આસપાસના ઘણા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અહીં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.


ભારે પવનને કારણે વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. ભારે વરસાદને કારણે વ્યાસપાડી અને બેસિન બ્રિજ વચ્ચેના બ્રિજ નંબર 14 પર પાણીનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. આ કારણે સોમવારે ચેન્નઈ સેન્ટ્રલથી જતી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ સિવાય ચેન્નઈ એરપોર્ટને પણ મંગળવારે સવારે 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.


રાજ્યમાં પ્રતિકૂળ હવામાનને કારણે ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, PSU, કોર્પોરેશનો, બોર્ડ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને કારણે તમિલનાડુના પલ્લીકરનાઈમાં પૂર આવ્યું હતું. અહીં પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ઘણી ગાડીઓ રસ્તા પર વહી ગઈ હતી.


આંધ્રપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ


હિન્દુસ્તાન ટાઈમ્સ અહેવાલ અનુસાર, ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ લગભગ 8 જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.