Cyrus Mistry Death: ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘર નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પાલઘરના એસપીએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે, આ ઘટના પાલઘરના ચરોટીમાં બની જ્યારે તે અમદાવાદથી પરત ફરી રહ્યા હતા.


પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું, "સાયરસ મિસ્ત્રીના અકાળે નિધનથી આઘાત લાગ્યો. તેઓ એક આશાસ્પદ ઉદ્યોગપતિ હતા જેઓ ભારતની આર્થિક શક્તિમાં વિશ્વાસ રાખતા હતા. તેમના અવસાનથી વાણિજ્ય અને ઉદ્યોગને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.



પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો અને તે દરમિયાન એક મહિલા તેની કાર ચલાવી રહી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોત થયા હતા. જેમાંથી સાયરસ મિસ્ત્રી પણ હતા. કારમાં બેઠેલા અન્ય બે લોકો જીવિત છે. આ કારમાં સવાર 4 લોકોના નામ જહાંગીર દિનશા પંડોલે, સાયરસ મિસ્ત્રી, અનાયતા પંડોલ (મહિલા), દરીયસ પાંડોલે છે. જેમાંથી સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું આ કાર અકસ્માતમાં નિધન થયું છે.


કેવી રીતે થયો અકસ્માત ?


મળતી માહિતી મુજબ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નદીના પહેલા પુલ પર એક ડિવાઈડર હતું અને આ કાર ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક તે બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અક્સાત એટલો ભિષણ હતો કે, કારમાં બેઠેલા સાયરસ મિસ્ત્રી સહિત અન્ય એક વ્યક્તિનું મૃત્યું થયું હતું અને અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


ડિસેમ્બર 2012માં બન્યા હતા ટાટા ગ્રુપના ચેરમેન





સાયરસ મિસ્ત્રીના પિતા પલોનજી મિસ્ત્રીનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું. સાયરસ ઉપરાંત, તેમના પરિવારમાં હવે તેમની માતા પેરીન ડુબાસ, તેમની બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે. સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા. સાયરસ મિસ્ત્રીને 2016માં  ટાટા ગ્રુપના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા.


તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને તેઓ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા હતા જ્યાં નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટમાં અપિલ પણ કરી હતી.