નવી દિલ્હીઃ પ્રસાર ભારતીએ ચેન્નઇ દૂરદર્શન કેન્દ્રના અધિકારીને અનુશાસનાત્મક કાર્યવાહીના નામ પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દૂરદર્શન કેન્દ્રની સહાયક નિર્દેશક આર વસુમથીએ કથિત રીતે આઇઆઇટી મદ્રાસમાં વડાપ્રધાન મોદીના ભાષણના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી. સૂત્રોના મતે વરિષ્ઠ અધિકારીઓએ ડીડી પોડિગઇ ટીવી પર પ્રસારિત થનારા વડાપ્રધાન મોદીના ભાષણને મંજૂરી આપી દીધી હતી. પરંતુ આર વસુમથીએ ભાષણ રોકી લીધું હતું.


પ્રસાર ભારતી તરફથી જાહેર કરાયેલા એક લેટરમાં કહ્યુ હતું કે, વસુમથીને સિવિલ સર્વિસ નિયમ 1965 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ પાછળનું કારણ સ્પષ્ટ જણાવવામાં આવ્યુ નથી. પત્રમાં ફક્ત અનુશાસનાત્મક કાર્યવાહી જણાવવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ આઇઆઇટી મદ્રાસના પદવીદાન સમારોહને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન સિંગાપોર-ભારત હેકાથોનના પુરસ્કાર વિતરણ સમારોહમાં સામેલ થયા હતા. વડાપ્રધાને આ દરમિયાન આ રીતે ASEAN દેશો માટે હેકાથોન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ મારફતે વડાપ્રધાન મોદીએ ક્લાઇમેન્ટ ચેન્જને લઇને નવો આઇડિયા લાવવાની ડિમાન્ડ કરી છે.