Most Polluted City: સ્વિસ જૂથ IQ Air એ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. ફરી એકવાર ભારતની રાજધાની દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. પીટીઆઇ દ્ધારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, બિહારનું બેગુસરાય વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ છે. જ્યારે દિલ્હી સૌથી ખરાબ હવાની ગુણવત્તા સાથેની રાજધાની બની ગઇ છે. સ્વિસ ગ્રુપ IQ Airએ એક ડેટા જાહેર કર્યો છે.


સ્વિસ જૂથ IQ Air અનુસાર, સરેરાશ વાર્ષિક પીએમ 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે ભારતમાં વર્ષ 2023માં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી 134 દેશોમાં ત્રીજા ક્રમે સૌથી ખરાબ હવાની ગુણવત્તા હતી. સ્વિસ સંસ્થા IQ Air દ્વારા 2023 નો અહેવાલ જણાવે છે કે બાંગ્લાદેશમાં 79.9 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર અને પાકિસ્તાનમાં 73.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર ખરાબ હવા ગુણવત્તા રહી હતી.


બીજી તરફ વર્ષ 2022માં ભારતને 53.3 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની સરેરાશ PM 2.5 સાંદ્રતા સાથે આઠમા સૌથી પ્રદૂષિત દેશ તરીકે સ્થાન મળ્યું હતું. 2022ના રેન્કિંગમાં પણ શહેરનું નામ આવ્યું નથી. દિલ્હી 2018 થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની રહી છે.


રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 1.36 અબજ લોકો પીએમ 2.5ની સંપર્કમાં રહે છે. 2022ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 131 દેશો અને પ્રદેશોના 7,323 સ્થળોનો ડેટા સામેલ છે. 2023 માં આ સંખ્યા વધીને 134 દેશો અને પ્રદેશોમાં 7,812 સ્થાનોના ડેટાનો સમાવેશ કરાયો હતો.


આ રોગો વાયુ પ્રદૂષણને કારણે થાય છે


વિશ્વમાં દર નવમાંથી એક મૃત્યુ પ્રદૂષણને કારણે થાય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો પર્યાવરણીય ખતરો બની રહ્યો છે. WHO ના અહેવાલો અનુસાર, વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે અંદાજિત 70 લાખ અકાળ મૃત્યુ માટે જવાબદાર છે. પીએમ 2.5ના સંપર્કમાં આવવાથી ઘણી બીમારીઓ થાય છે. જેમાં અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાના રોગનો સમાવેશ થાય છે.


PM 2.5 શું છે?


આરોગ્ય નિષ્ણાતોના મતે PM 2.5 એ પ્રદૂષક કણોની એ શ્રેણીનો ઉલ્લેખ કરે છે જેનું કદ લગભગ 2.5 માઇક્રોન છે. મુખ્યત્વે જંગલની આગ, પાવર પ્લાન્ટ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓને કારણે તેનું સ્તર વધી જાય છે. PM 2.5 વધવાને કારણે ધુમ્મસ અને નબળી વિઝિબિલિટી સાથે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. આ કણો શ્વાસ દ્વારા સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે અને ગળામાં દુખાવો, બળતરા અને ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે.


ખાસ સાવચેતી રાખવાની જરૂર છે


2010 માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક કલાકોથી લઇને સપ્તાહો સુધી PM 2.5 ના સંપર્કમાં રહેવાથી હૃદય અને ફેફસાના રોગના કારણે થતા મૃત્યુદરમાં વધારો થઇ શકે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, વૃદ્ધો અને શિશુઓ પર તેની વધુ ગંભીર અસર પડે છે. પીએમ 2.5ના સંપર્કમાં આવવાથી આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવી સામાન્ય છે.


આ અંગોને અસર કરી શકે છે


આરોગ્ય નિષ્ણાતોના મતે, પીએમ 2.5ના વધેલા સ્તરના સંપર્કમાં આવવાથી આંખો, નાક, ગળા, ફેફસા અને હૃદય માટે ગંભીર ખતરો થઈ શકે છે. આંખમાં બળતરા, આંખોમાં પાણી આવવું, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ સૌથી વધુ છે. PM 2.5 થી સુરક્ષિત રહેવા માટે દરેક વ્યક્તિએ બહાર જતી વખતે માસ્ક અને ગોગલ્સ પહેરવા જોઈએ. સમયાંતરે તમારા ચહેરાને પાણીથી સારી રીતે હોવો જોઇએ.