નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઈઓવર પાસે પ્રવાસી મજૂરોને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ફૂટપાથ પર બેસીને શ્રમિકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યા જાણી હતી. રાહુલ ગાંધીના આવ્યા બાદ દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરી અને યુવા કૉંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ શ્રમિકો પાસે આવ્યા હતા અને તેમની ઘરવાપસની વ્યવસ્થા કરી હતી.


એક શ્રમિકે કહ્યું કે, “રાહુલ ગાંધીએ મને પૂછ્યું કે ક્યાં જવાના છો, ત્યારે મે કહ્યું કે ગામ જવાનું છે, સરનામું જણાવ્યું, તેના પર તેમણે કહ્યું કે, વ્યવસ્થા કરીને ત્યાં સુધી પહોંચાડી દઈશું. અમે રસ્તામાં પગપાળા જઈ રહ્યાં હતા, ત્યારે તેઓ અચાનક આવ્યા, અમે ઉભા રહ્યા અને થોડી વાતચીત થઈ હતી.”


દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે, “અમને જાણ થઈ કે તેઓની (શ્રમિકો) અટકાયત કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી આવ્યા અને તેમને મળ્યા. અમે પોલીસ સાથે વાતચીત કરી હતી બાદમાં તેઓ સહમત થયા અને બન્ને લોકોને જવા દીધાં હતા. હવે અમારા વોલેન્ટિયર તેમને પોતાના ઘરે પહોંચાડી રહ્યાં છે. ”
આ પહેલા શનિવારે રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મહામારીમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા ગરીબો, ખેડૂતો અને શ્રમિકો સુધી ‘ન્યાય’ યોજના હેઠળ મદદ કરવાની માંગ કરી હતી. તેમણે મોદી સરકારને આગ્રહ કર્યો કે તેઓ આર્થિક પેકેજ પર પુન:વિચાર કરે અને ડાયરેક્ટ લોકોના ખાતામાં પૈસા નાખે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, લોકડાઉનને સમજદારી અને સાવધાની સાથે ખોલવાની જરૂર છે.