નવી દિલ્હીઃ દિલ્હીમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર બની છે ત્યારથી કેન્દ્ર સરકાર સાથે તેનો ટકરાવ રહ્યો છે. સોમવારે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની સ્થિતિને જોતાં રાજ્ય અને કેન્દ્ર સરકારે મળીને કામ કરવું પડશે. કોરોના સામે લડવા કેન્દ્ર પણ મદદ કરી રહી છે પરંતુ હવે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અલગ જ વાત કહી છે. સિસોદિયાએ કહ્યું, દિલ્હીમાં કોરોના સારવારના બે મોડલ છે- એક કેજરીવાલનું અને બીજું અમિત શાહનું.


અમારે એવું મોડલ જોઈએ જેમાં લોકોને પરેશાની ન થાયઃ સિસોદિયા

ઉપ મુખ્યમંત્રીએ કહ્યું, અમિત શાહવાળા મોડલમાં કોરોના દર્દીએ ક્વોરન્ટાઈ સેન્ટરમાં જવું પડશે. જ્યાં તેની તપાસ થશે પરંતુ કેજરીવાલ મોડલમાં દિલ્હી સરકારની મેડિકલ ટીમ ઘરે આવીને કોરોના દર્દીની તપાસ કરશે. તેમણે કહ્યું, આપણે એવું મોડલ જોઈએ, જેમાં લોકોને  ઓછી પરેશાની થાય.


સિસોદિયાએ કહ્યું, કોરોના સામેના જંગમાં અમિત શાહ મોડલ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ મોડલની લડાઈ ન હોવી જોઈએ. છેલ્લા થોડા દિવસોથી દિલ્હીના લોકો ઘણા દુખી છે, કારણકે તેમણે ક્વોરન્ટાઈન સેન્ટરમાં જઈને તપાસ કરાવવી પડી રહી છે. આપણે બધાને ક્વોરન્ટાઈન સેન્ટર ન મોકલી શકીએ. સિસોદિયાએ કહ્યું, દિલ્હીમાં જે હોમ આઈસોલેશનના નિયમ બદલ્યા છે, તેનાથી લોકોમાં ડરનો માહોલ છે. આપણે પરસ્પરના મતભેદ ભૂલીને એક થઈને આ મહામારી સામે લડવાના પ્રયત્ન કરવા પડશે.

આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66,602 પર પહોંચી છે અને 2301 લોકોના મોત થયા છે.