નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ નેતોઓ વચ્ચે વાર-પલટવાર તેજ થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાજપ સમર્થકના ઘરે જવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કટાક્ષ કર્યો છે. કેજરીવાલે શનિવારે કહ્યું કે, ગૃહમંત્રીએ પાર્ટીના સમર્થકોને પૂછવું જોઈએ કે મોંઘવારીના દોરમાં તેમના બાળકોના શિક્ષણનું ધ્યાન કોણે રાખ્યું. આ પહેલા અમિત શાહે ટ્વિટર પર બે તસવીર શેર કરી હતી જેમાં તેઓ ભાજપના એક સમર્થકના ઘરે નજરે આવી રહ્યા છે.


કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, તમારે ભાજપા સમર્થકોને પૂછવું જોઈએ કે પાંચ વર્ષમાં તેમના બાળકોના શિક્ષણનું ધ્યાન કોણે રાખ્યું. તેમના માટે 24 કલાક વીજળી કોણે આપી. જ્યારે તમે આટલી બધી મોંઘવારી વધારી દીધી ત્યારે તેમના વીજળી, પાણી અને બસ મુસાફરી નિ: શુલ્ક કરીને કોણે ગળે લગાવ્યા ? આ બધા મારા પરિવારના લોકો છે સર, મેં તેમનો મોટો દિકરો બનીને ધ્યાન રાખ્યું છે.


કેજરીવાલે કહ્યું કે “અમિત શાહ પોતાના સમર્થકોને ચૂંટણી સમયે જ યાદ કરે છે. તેમણે અન્ય એક ટ્વીટ કર્યું કે, સર, આપને ચૂંટણી પહેલા પોતાની ગરજ માટે તેમની યાદ આવી, અમે તમામ બે કરોડ દિલ્લીવાળા એક પરિવારની જેમ છે. પાંચ વર્ષમાં અમે સાથે મળીને દિલ્હીને બદલી છે.”