નવી દિલ્હી: મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી જેમાં આમ આદમીનો ફરી એકવાર વિજય થયો હતો. ત્યાર બાદ દિલ્હીની મહેરૌલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય નરેશ યાદવની રેલી જઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા લોકોએ તેમની કાર અને ગાર્ડ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.


મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય નરેશ યાદવ પર ફાયરિંગ કરીને હુમલો એ સમયે થયો જ્યાં તેઓ ચૂંટણી પરિણામ આવ્યા બાદ મંદિરથી પરત ફરી રહ્યાં હતાં. નરેશ યાદવને કિશનગઢમાં થયેલા હુમલામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પરંતુ એક વ્યક્તિ ગંબીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

હુમલાને લઈ નરેશ યાદવે કહ્યું હતું, કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલા પાછળનું કારણ ખબર નથી પરંતુ આ અચાનક થયું. જે ગાડીમાં હતો તેના પર હુમલો થયો હતો. મને વિશ્વાસ છે કે, જો પોલીસે યોગ્ય રીતે તપાસ કરે તો હુમલાખોર પકડાઈ જશે.