Manish Sisodia In Tihar Jail: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હાલમાં કથિત દારૂ કૌભાંડના સંબંધમાં તિહાર જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીનો દાવો હતો કે, સિસોદિયાને તિહારની જેલ નંબર-1માં ખુંખાર કેદીઓ સાથે રાખવામાં આવ્યા છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે સિસોદિયાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. AAPના આ આરોપો પર તિહાર જેલ પ્રશાસને હવે સ્પષ્ટિકરણ આપ્યું છે.


જેલ પ્રશાસનનું કહેવું છે કે, તેમને જેલમાં રાખવાના આરોપો પાયાવિહોણા છે. તિહાર જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયાને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ વોર્ડ આપવામાં આવ્યા છે. જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, જેલ નંબર-1માં કેદીઓની સંખ્યા ઓછી હોવાને કારણે મનીષ સિસોદિયાને ત્યાં રાખવામાં આવ્યા છે. સિસોદિયા સાથે જે કેદીઓ બંધ છે તેમાંથી કોઈ પણ ગેંગસ્ટર નથી અને જેલમાં તેમનો વ્યવહાર સારો છે.


'નિયમો અનુસાર જ કરાઈ છે વ્યવસ્થા'


તિહાર જેલ પ્રશાસને વધુમાં કહ્યું હતું કે, મનિષ સિસોદિયા એક અલગ સેલ હોવાને કારણે કોઈપણ ખલેલ વિના ધ્યાન જેવી અન્ય વસ્તુઓ કરી શકે છે. જેલ પ્રશાસને કહ્યું હતું કે, જેલના નિયમો અનુસાર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સિસોદિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ પહેલા AAP નેતા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, તિહાર જેલમાં સિસોદિયાના જીવને ખતરો છે.


AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ 


સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, શું ભાજપે મનીષ સિસોદિયાની હત્યા જેલમાં કરાવવાનું ષડયંત્ર રચ્યું છે? આ કાવતરા હેઠળ મનીષ સિસોદિયાને ખતરનાક ગુનેગારો સાથે જેલ નંબર વનમાં રાખવામાં આવ્યા છે. તેમણે આરોપ યથાવત રાખતા વધુમાં કહ્યું હતું કે, જો વડાપ્રધાન અને ભાજપ AAPને રાજકીય રીતે હરાવી શક્યા નથી, તો તેઓએ અમારા નેતાઓને મારવાનું કાવતરું ઘડ્યું? શું વડાપ્રધાન આ રીતે દિલ્હી અને MCDની હારનો બદલો લેશે?


AAP ધારાસભ્ય સોમ દત્તને ઝટકો, છ મહિના માટે તિહાડ જેલ મોકલાયા


દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમ દત્તને છ મહિના માટે તિહાડ જેલમાં મોકલી દીધા છે અને મેજીસ્ટ્રેટ કોર્ટ દ્ધારા તેમને  દોષિત ઠેરવાની અપીલને ફગાવી દેવામાં આવી છે. તેમને 2015ના એક કેસમાં છ મહિનાની જેલની સજા સંભળાવી હતી. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય અને 50 વ્યક્તિઓએ ગુલાબ બાગ જઇને સંજીવ રાણાના ઘરની સતત ઘંટડી વગાડી હતી. ત્યારબાદ જ્યારે સંજીવ રાણાએ આ વાતનો વિરોધ કર્યો તો ધારાસભ્યના સમર્થકોએ તેમની સાથે મારપીટ કરી હતી. કેટલાક સમય અગાઉ દિલ્હીની એક કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજ કુમારન ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. તેમના પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જોકે, તેમને તરત જ જામીન મળી ગઇ હતી. મનોજ કુમારને કોર્ટે 2013 વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીની કલ્યાણ પુરી વિસ્તારમાં બનેલા  એક મતદાન કેન્દ્ર પર ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા મામલે દોષિત ઠેરવાયા હતા.